Saturday, March 4, 2023

મારા નવા પુસ્તક “ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી” નું આજે પ્રકાશન થયું છે.

 

મારાં અગાઉનાં પુસ્તકો અંગ્રેજી ભાષામાં છે, પણ આ મારું ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક છે. (સાથે સાથે ચપટીભર અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનિશ, ડચ, સંસ્કૃત, હિન્દી, મરાઠી, સ્વાહિલી અને અરબી ભાષાઓનો ઉપયોગ પણ થયો છે.) 

 

ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી

 આ પુસ્તકમાં રાજકારણ, યુદ્ધો, જાસૂસી, ભાંગફોડ, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ઉદ્યોગો, વૂડૂ બ્લેક મેજિક, સ્વાસ્થ્ય, પરંપરાઓ, રીતરિવાજો, તહેવારો, ભાષાઓ, સંબંધો, રસોઈ, ખોરાક, વગેરે જેવા વિધવિધ વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનની સત્ય વાર્તાઓ વાંચવા મળે છે. સેંકડો એવા વિષયો છે કે જેની સાહિત્યમાં ભાગ્યે જ ચર્ચા થાય છે તેવી વાતોને લીધે વાચકને આ નવું પુસ્તક રસપ્રદ લાગશે. વિષય પ્રસ્તુતિ પણ સામાન્ય પુસ્તક કરતાં સાવ અલગ રીતે થયેલી છે. આ વાર્તા એક ખરેખર પ્રેરણાદાયી સ્ત્રી, ઊર્મિલાની આસપાસ વણાયેલી છે, જે ચાર બાળકોની સરેરાશ મધ્યમ વર્ગની માતા અને આનંદી પત્ની હોવાની સાથે, પોતાની રીતે એક મૌન ક્રાંતિકારી કરતાં જરાય ઓછી નહોતી. તે એક, બે એવા પાઠ આપે છે કે કેવી રીતે 'નારીવાદી (Feminist) બન્યા' વિના કેવી રીતે સૌમ્યતાથી નારીવાદી બનવું, અને કેવી રીતે 'પીડિત' (Victimhood) માનસિકતાનો ભોગ ન બનવું. તેણીનો જન્મ આજે 1933 માં થયો હતો, જો તે જીવતી હોત તો આજે તેનો ૯૧મો જન્મદિવસ તે ઉજવતી હોત. 

અધ્યયન અને સામાન્ય જ્ઞાનની દૃષ્ટિએ આ પુસ્તક મૂલ્યવાન છે. તેથી જ તો, શૈક્ષણિક પુસ્તક પ્રકાશક, ક્રિએટિવ પ્રકાશને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક એક સારું વાંચન તો છે જ પણ તે સાથે જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગે એક સારી ભેટ આપવા લાયક પુસ્તક પણ છે. 

 

નીચે આપેલી લિંકને અનુસરીને તમારી નકલ મેળવી શકશો. એકાદ અઠવાડિયામાં એમેઝોન ઉપર પણ આ પુસ્તકની વિગતો અપલોડ થઈ જશે. ISBN:978-93-95389-01-3. Creative Prakashan Email:www.creativeprakashan9@gmail.com. Price:  Rs. 450/- * (ભારતમાં) $ 15/-* (પરદેશમાં) આજે જ ઘરબેઠા પ્રાપ્ત કરો

 https://creativeprakashan.spayee.com/courses/------63fb1192e4b07965060d7062#description





 

Sunday, April 25, 2021

વોકલ ફોર લોકલ ૨ - તમારું હોય તેનું જતન તમારે જ કરવું જોઈએ.

 


લોકલનું મહત્વ વધારવા પરદેશની મોટી કંપનીઓ પોતાની ઘણી વસ્તુઓના મોડેલના નામ પોતાના દેશ, ગામ, પર્વત, નદી વગેરે ઉપર આપતા જોઈ શકાય છે. ટેકોમા (Tacoma), સીએના (Sienna), ટસ્કન (Tuscan), પ્લાયમાઉથ (Plymouth) જેવા અનેક મોટરકારોના મોડેલો આપણે સાંભળ્યા છે. આ બધા નામ અમેરિકા અને યુરોપનાં ગામોના નામ છે. મોટરકાર આવી તે પહેલાનાં સાયકલ યુગમાં રેલી (Raleigh) નામની એક બહુ પ્રખ્યાત સાયકલ આવતી હતી, આજે પણ આવે છે તે રેલી પણ અમેરિકાના એક ગામનું નામ છે. કેન્ટ, કેનમોર વગેરે એપલાયન્સીસ બ્રાન્ડ પણ ગામના જ નામ છે. આપણે પણ જો આવું અનુકરણ કરી ભારતના ગામ, નદી, પર્વત વગેરેના નામ આપી શકીએ તો તેમને દેશ-પરદેશમાં જાણીતા બનાવી શકાય. ભારતની મોટી કંપનીઓ અને ઉદ્યોગપતિઓ જો આવું કરવા તરફ થોડું ધ્યાન આપશે, એટલે કે જો 'વોકલ' બનશે તો સહેલાઈથી આપણાં લોકલ સ્થાનો જાણીતા થશે. બોલે તેના બોર વેચાય.


Sunday, November 8, 2020

વોકલ ફોર લોકલ (૧) – તમારું હોય તેનું તમે જતન કરો

 બાકીના બધા અક્ષરો તો ભારતની બધી ભાષાઓમાં હોય છે, પણ ગુજરાતી ભાષાના આ બે અક્ષરો, 'ળ' અને 'ણ' બીજી ભાષાઓમાં કાં તો નથી અથવા તો ઓછા વપરાશમાં આવે છે. આ વિશેષતાનો આપણે પૂરેપુરો ઉપયોગ કરીને ગુજરાતી ભાષાની લાક્ષણિકતા જાળવી રાખવી જોઈએ. આ વાત મારા મનમાં ત્યારે આવી, જ્યારે બજારમાં મળતી ગોળ-કેરીના અથાણાની શીશી પર 'ગોર-કેરી' કે 'ગોડ-કેરી' એવું વાંચવામાં આવ્યું. વોકલ ફોર લોકલ કરવું હોય તો 'ળ' અને 'ણ' ને આપણે ભૂલવા ન જોઈએ. જો ગુજરાતીમાં પ્રીન્ટ કરવાનું હોય તો, 'પાણી-પુરી' કે 'ભેળ-પૂરી' ને 'પાની-પૂરી' કે 'ભેલ-પૂરી' શા માટે કહેવું? વાત નાની છે પણ તેની શક્તિ 'લોકલ' ને 'ગ્લોબલ' બનાવી શકશે. "વોકલ ફોર લોકલ" આપણે થયા નહીં તેને લીધે જે વસ્તુઓ આપણા લેખક-કવિઓએ વર્ણવી છે તે ક્યાં છે તે અથવા તે જગાઓ જોવાનું પણ આપણને કુતુહલ થતું નથી. તેથી જ તો તે તે સ્થળોનો પર્યટન-મથક તરીકે પણ વિકાસ થતો નથી. દાખલા તરીકે, જુનાગઢના જોવા લાયક ઐતિહાસિક સ્થળો જો ગુગલમાં શોધશો તો અડીકડીની વાવ કે નવઘણ કૂવો તમને નહીં મળે અને વઢવાણની માધાવાવ કે સતી રાણકદેવીનું મંદીર પણ નહીં મળે.  જુનાગઢના કવિ નરસિંહ મહેતા કે વઢવાણના કવિ દલપત રામ વગેરેએ તેમના સમયે ઐતિહાસિક રીતે અગત્યની સ્થાનિક વાતો સમેટીને કવિતાઓ લખી અને તે વાતો પ્રખ્યાત પણ થઈ. તેઓ લોકલ માટે વોકલ થયા. આજે પણ તેવું કરવાની જરુર છે. આપણા દેશમાં તો જ્યાં નજર પડે ત્યાં ઇતિહાસ પડ્યો છે, આપણે બસ જરુર થોડાક વોકલ-બોલતા થવાની જ છે.


Sunday, February 18, 2018

વિવિધતામાં એકતાનું દર્શન


ભારતમાં કહેવાય  છે કે દર બાર ગાઉએ બોલી બદલાય છે, વેષ-ભૂષા અને ખાન-પાન બદલાય છે. પરંતુ આપણે ઘણા ના મોઢે એવું સાંભળ્યું છે કે ભારત દેશની એ વિશિષ્ટતા છે કે અહીંના લોકોમાં ભલે ગમ્મે તેટલી વિવિધતાઓ દેખાય પણ તેઓમાં એકતા નું એક અદ્રષ્ટ ઝરણું વહે છે. પણ એક વિચાર મનમાં જરૂર ઉભો થાય કે વિવિધતા અને એકતા એ બેઉ તો પરસ્પર વિરોધી છે. જ્યાં વિવિધતા હોય ત્યાં એકતા સંભવી જ કેમ શકે? તો ભારત દેશની આ એકતા નું રહસ્ય શું છે?

 

રંગરંગીત સુંદર મણકા થી બનેલી માળા કેટલી મનોહર લાગે છે? એ સુંદર માળા નો દરેક મણકો એક અદ્રષ્ય તંતુ થી જોડાએલો છે. આ તંતુ ભલે આંખોથી દેખાતો નથી પરંતુ માળાના અસ્તિત્વનું તે જ ખરૂં કારણ છે. આપણે સહુ ભલે જુદી ભાષાઓ બોલતા હોઈએ, અલગ અલગ ધર્મોના અનુયાઈ હોઈએ, ઓછા-વત્તા ધનીક હોઈએ પણ એક જ મા, મા ભારતી ના આપણે પુત્ર-પુત્રીઓ છીએ. વિશ્વ આખા માં બીજો કોઈ દેશ એવો નથી કે જે દેશની સંસ્કૃતી એવું સમજાવે છે કે ઈશ્વર કણે કણમાં બધે જ વસેલો છે. તે આપણા સહુમાં, પ્રાણીથી લઈ વનસ્પતિ, નદી-નાળા અને પર્વતોમાં એમ બધે વસે છે. આ સંદેશની શક્તિ જોઈલો, તે શક્તિને પ્રતાપે આપણને સહુ લોકો આપણા જ હોય તેવું લાગે છે. વળી આપણા પૂર્વજોએ वसुधैव कुटुम्बकम् કહીને આખું વિશ્વ મારો જ પરિવાર છે તેવું આપણા જીવનમાં સહજ વણી દીધું છે. આવી મૌલીક વિચારધારા આપણને બીજા દેશોના નાગરિકો કરતા વધુ સહિષ્ણુ બનાવે છે. વળી તેને જ લીધે નાના-મોટા વિખવાદો નું રૂપાંતર મોટા ઝગડા કે ઝેરીલા સંઘર્ષમાં થતું નથી અને આપણું ઐક્ય ભાંગતુ નથી.

ભારતમાં આપણા સહુની માતૃભાષાઓ ભલે વિવિધ હોય પણ તે સહુ ભાષાની જનની તો એક જ છે ને? તે એટલે આપણી સંસ્કૃત ભાષા. એ સંસ્કૃત ભાષામાંથી જ હિંદી, ગુજરાતી, મરાઠી કે મલયાલમ એમ ભારતની બધી ભાષાઓ કાળક્રમે ઊદભવી છે. ભાષાવિદોના કહેવા પ્રમાણે તામીલ ભાષાના લગભગ અડધોઅડધ શબ્દો તો સંસ્કૃત ના જ છે. હજારો વર્ષોથી ખેડાએલી આ સંસ્કૃત ભાષામાં વિપુલ સાહિત્ય છે. જે તત્ત્વજ્ઞાન, જે આચારવિચારો સંસ્કૃત ભાષાને લીધે આપણા આ ભૂમિખંડમાં સ્થિર થયા છે તેને જ આપણે “સંસ્કૃતી” કહીએ છીએ. આ પ્રમાણે સંસ્કૃતમાંથી આવેલી છે તેને જ ખરેખર સંસ્કૃતી કહેવાય. આપણી માતૃભાષા સંસ્કૃતમાંથી આવેલી છે માટે તેમાંનું તત્ત્વજ્ઞાન, આચારવિચાર, નૃત્ય, સંગીત જાણે અજાણ્યે આપણા સહુના લોહીમાં આવી વસ્યું છે. ભલે આપણામાં થી કોઈ ઊત્તરથી આવ્યો હોય કે દક્ષિણથી, પૂર્વથી કે પશ્ચિમથી પરંતુ તે પણ આપણી જેમ માતૃ દેવો ભવ એમ જ કહેવાનો, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ એવું જ બોલવાનો. આખા ભારતની બાળવાર્તાઓમાં ચાંદા મામા હશે અને સુરજ દાદા હશે, કારણ કે આપણા સહુની મૂળ સંસ્કૃતી એક જ છે.

વ્યક્તિ કાશ્મીરનો હોય કે કેરળનો, તેના માટે પણ સત્યવાદીનો આદર્શ હરીશચન્દ્ર જ હોય, પુત્રનો શ્રવણ, યોદ્ધાનો અર્જુન, રાજ્ય વ્યવસ્થાનો રામરાજ્ય જ હોય. માણસ ગુજરાતનો હોય કે અરૂણાચલનો, હિંમત અને વીરતા માટે રાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ભગતસિંહ કે રાણી લક્ષ્મીબાઈને જ યાદ કરતો હશે. આવી અનેક એક સરખી વાતોથી આપણે એકતાનો અનુભવ કરીએ છીએ.

 

 

આપણામાં આટલી બધી વિવિધતાઓ હોવી તે જગતના લોકો માટે આ મોટો અચંબો છે. વિશ્વના બીજા દેશમાં કાં તો એક કે બે ભાષાઓ ચાલતી હોય અથવા એકાદ જ મુખ્ય ધર્મ હોય જ્યારે અહીં તો ૨૨-૨૩ મુખ્ય ભાષાઓ અને જગતના બધાય ૫-૬ ધર્મો!! તેમાંય ૧૨૭ કરોડની વિશાળ જનસંખ્યા અને લગભગ ૩૩ લાખ વર્ગ કીમી ક્ષેત્રફળ વાળો મોટો દેશ. પરદેશીઓના મનમાં એ પ્રશ્ન હોય છે કે અધધ આવડા વિશાળ ભારતમાં કેટલી બધી વિવિધતાઓ છે અને તે છતાં સહુ એકબીજા સાથે હળીમળીને કેમ રહી શકતા હશે?

મેઘધનુષ્ય જેવી વિવિધતા અને છતા પાષાણ જેવી એકતા સહેલી નથી. તેના માટે આપણે સંસ્કૃતીના રચયીતાઓને દાદ આપવી જોઈએ. તેઓ ૠગવેદ દ્વારા એક તરફ તો એમ કહે છે કે “आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः” એટલે કે, વિશ્વ આખા માંથી વિવિધ મંગલમય વિચારો ને આવવા દો અને સાથે સાથે બીજી તરફ ઉપનિષદમાં એમ સમજાવ્યું કે, “समानी व आकूति: समाना हृदयानि व: समानमस्तु वो मनो यथा व: सुसहासति” એટલે કે હૈયાથી અને ઈરાદાથી આપણે સહુ એક બની રહીએ. આ પ્રમાણે વિવિધતા અને ઐક્ય બેઉને આપણે હજારો વર્ષોથી સ્વિકાર્યા છે અને વિવિધતામાં એકતા હોવી તે ભારતમાં આપણા માટે સ્વાભાવિક બની ગયું છે.

 

આપણે બીજા કોઈ દેશોના આચાર-વિચાર જોઈએ તો એક વાત સ્પષ્ટ દેખાશે કે સહુ પોતપોતાનો વિકાસ, પોતાનો જ વિજય, બીજાની હાર, પોતે જ સાચા, બાકી બધા ખોટા, બસ એવી જ ઈચ્છા, દુવા-પ્રાર્થના કરતા હોય છે. આપણે ત્યાં એવું નથી. આપણી તો પ્રાર્થના, ઊપનિષદમાં એમ કહે છે કે, “ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् । ॐ शान्तिः शान्तिः शान्तिः॥“ હે પ્રભુ, મારા એકલાનું જ નહીં પરંતુ સહુ લોકો સુખી રહે, સહુનું સ્વાસ્થ્ય સારુ રહે, બધે શાન્તિ બની રહે.

 

બીજા દેશોમાં પોતાના શીવાય બીજા માટે પ્રેમ, સદભાવના અને આદર નૈસર્ગીક રીતે સંસ્કૃતીમાં મળતા ન હોવાથી તે દેશોને કેટકેટલીય સંસ્થાઓ, ફોરમો જેવી કે, “Inter-religious Dialogues” “Sustaining Multi-culturalism”, “Respect for Diversity” “Tolerance for other religious/ethnic groups” વગેરે ઉભી કરીને હળીમળીને રહેતા શીખવાડવું પડે છે. વિવિધતામાં એકતા આપણા વીચારશીલ પૂર્વજો, ૠષીઓએ કરેલા અથાગ પરિશ્રમને લીધે આપણને ગળથુથીમાં મળી છે.

 

પરદેશમાં કોઈ અજાણ્યા ને પણ જો આપણી ભાષામાં બોલતો જોઈએ તો તે આપણો લાગે. જો તે મુશ્કેલીમાં હોય તો સ્વાભાવિક જ આપણને મદદ કરવાનું મન થાય. પરાયો ક્યારે આપણો લાગે તેનું વિજ્ઞાન સાવ સહેલું છે. જ્યારે સમજાય કે તે અજાણ્યો તો આપણો જ છે કે તરત તેના તરફની આપણી ઉદાસીનતા ઘટી જશે અને મમતા પોતમેળે ઉભી થશે. કહેવું પણ નહીં પડે. વિશ્વ એક કુટુંબ છે એવું મનમાં લાગે ત્યારે થાય કે અજાણ્યો અજાણ્યો નથી પણ તે આપણો છે. ભાઈ-ભાંડુઓમાં વિવિધતા હોય જ. રંગ-રૂપ, ભણતર, આવક, પસંદ-નાપસંદ એમ બધું જુદું જુદું હોય પણ સહુની બા, સંસ્કૃતી માતા એક હોવાથી આપણામાં અનેકાનેક વિવિધતા દેખાતી હોવા છતાં આપણામાં એકતા છે. ભારત માટે સાચું જ કહેવાયું છે કે અહીં અનેકતામાં એકતા છે. અદૃષ્ય વહેતા એકતાના આ સ્રોત નું દર્શન, અર્થાત તેની સમજ, તે સમજને કહી શકાય વિવિધતામાં એકતાનું દર્શન.

Thursday, December 31, 2015

ક્રેનબેરી અને શીંગોડા

(સાહિત્યની ભૂમિ એવી ફળદ્રુપ છે કે અશક્ય લાગતું બધું જ તેમાં શક્ય બને છે. બાકી ક્યાં ક્રેનબેરી અને ક્યાં શીંગોડા. ક્રેનબેરી, એ અતિ-થંડા પ્રાંતનું ફળ અને શીંગોડા, તે ગરમ પ્રાંતનું ફળ. બેઉ નિસર્ગમાં કદી ભેળા ન થાય પરંતુ વાર્તા માં? આ વાર્તા લખતાં લખતાં તેથી જ તો લેખકને એ બ્રહ્મજ્ઞાન લાધ્યું કે એમ શા માટે કહેવાતું હશે કે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”) 

અમેરિકા (યુ.એસ.એ.) અને કેનેડા મળીને જે ભૂભાગ બને તે ઉત્તર-અમેરિકા. આ ભૂભાગના પશ્ચિમ કિનારે પાસિફિક-પ્રશાંત મહાસાગર. સુર્ય-પ્રકાશ, સુંદર દરિયા-કિનારો, અને બારે મહિના ખુશનુમા આબોહવા ના આશિર્વાદના પ્રતાપે હોલીવુડ અને સીલીકોન-વેલીનું તે ઘર બન્યું છે. લોસએંજીલીસ, સાનફ્રાન્સીસ્કો, સાનહોસે, સીઆટલ અને વાનકુવર જેવા પ્રસિધ્ધ શહેરો આ કિનારે વસ્યા છે.

ઊર્મિલા બહેનની પહેલી પૌત્રી કેનેડા વસવાટ કરવા આવી ત્યારે શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ તે વાનકુવરનાં મોંઘાદાટ રીચમંડ વિસ્તારમાં રહેતી. રીચમંડ હજી હમણાં સુધી અતિ ફળદ્રૂપ ખેતરો માટે જાણીતું હતું. આ ખેતરોના મોટા ભાગના માલીકો ભારતથી આવી વસેલા મહેનતુ શિખ લોકો છે. પણ જેમ જેમ ચીનની સમૃધ્ધિ વધતી ગઈ તેમ તેમ ત્યાંનાં ધનવાન માણસોએ પણ અહીં જમીનો લઈ, ઘરો બાંધી વસવાનું ચાલૂ કર્યું. આ નવા વસેલા ‘કેશ-રિચ’ ચીનાઓને લીધે ઉત્તર-અમેરિકામાં વાનકુવર સૌથી મોંઘુ શહેર બની ગયું છે. અને વાનકુવરમાં, રીચમંડ વિસ્તાર સૌથી વધુ મોંઘો. ત્યાં ધીરે ધીરે ખેતરો ઘટતા ગયા છે અને તેની જગ્યાએ મકાનો વધતાં ગયા છે.

ઊર્મિલા બહેનની પહેલી પૌત્રીનો બાપ એટલે ઊર્મિલા બહેનનો મોટો દીકરો જેને આપણે ઊમોદી તરીકે જાણીએ છીએ. ઊર્મિલા બહેનનો ઊ, મોટાનો મો અને દીકરાનો દી લઈએ એટલે ટૂંકામાં તે બને ઊમોદી. તે ઊમોદી આજે પોતાના પૌત્રને ફિલ્ડ-ટ્રિપ માટે લઈ જઈ રહ્યો છે. ફોક્સવેગન કારના સ્ટિયરીંગ પર તે અને પાછળ કાર સીટ પર તેનો પૌત્ર છે. હાઈવે-૯૧ની બન્ને બાજુએ વિશાળ ખેતરો છે. નવેમ્બર મહિનાના શરૂઆતના દિવસો છે. મકાઈનો પાક લણ્યા પછી સાફ થયેલા ખેતરો હજુ ખાલી જ પડ્યા છે. બ્લ્યુબેરીની વાડીઓ સુની પડી છે. તેમાં આવતા ઊનાળા સૂધી ધ્યાન આપવાની જરૂર નહીં. હવે આવતા જૂલાઈ-ઓગસ્ટમાં બ્લ્યુબેરીના તે જ છોડ પર ફળ પાકશે. પણ પેલા દૂરના મોટા ખેતરોમાં પાણી ભરાયું હોય તેવું કેમ લાગે છે? આપણે તો ડાંગરના ખેતરોમાં પાણી ભરાયેલા જોયા છે. તો શું આ ડાંગરના ખેતરો હશે? અહીં? આ ઋતુમાં? એ તો ના બને. અને તે પાણી લાલ રંગનું કેમ છે? મા ઊર્મિલા બહેને કહેલી વાત તેને યાદ આવી ગઈ. વિદર્ભના કે છત્તીસગઢના કોઈ નાનકડા ગામડાના તળાવમાં શીંગોડા જ્યારે ઉગ્યા હોય ત્યારે તળાવ કેવું લાલ દેખાતુ તેની વાત તેઓ ઘણી વાર કરતાં. જો કે ઊમોદીને ખબર છે કે વાનકુવરમાં તો શીંગોડાની ખેતી થાય જ નહીં. ક્યાં શીંગોડા માટેનું વિષુવવૃત્તીય વાતાવરણ અને ક્યાં આ વાનકુવરનું શંકુદ્રુમ હવામાન. તેથી લાલ પાણી વાળું શીંગોડાનું ખેતર તો હોઈ જ ન શકે. તો એ રાતા પાણી વાળું ખેતર હશે શાનું? 

લાલ પાણી ભરેલા ખેતરની નજીક પંહોચીને નિરીક્ષણ કર્યું ત્યારે ખ્યાલ આવી ગયો કે તે ચણી-બોર જેવા ક્રેનબેરી ફળની વાડી હતી. ક્રેનબેરી ફળની વિશેષતા એ છે કે તે માત્ર ઉત્તર-અમેરિકામાં જ થાય છે અને તેમાં પારાવાર માત્રામાં સી-વિટામિન હોય છે. તેની બીજી ખાસીયત એ છે કે તે બોર જેવા ફળમાં થોડીક હવા નૈસર્ગીક રીતે ભરાયેલી રહેતી હોવાને કારણે તે કદી પાણીમાં ડુબતું નથી. તરતા રહેવાના તેના એ ગુણધર્મનો લાભ ખેડૂતો તેને સહેલાઈથી ચૂંટી લેવા માટે કરે છે. જ્યારે ફળ પાકીને સરસ લાલઘૂમ થાય તે સમયે ખેડૂત આખા ખેતરને પાણીથી ભરી દે. અંદર રહેલી સહેજ હવાને કારણે ક્રેનબેરી ડૂબી જવાના બદલે   પાણી ઉપર તરતી રહે અને ફળ ચૂંટનારના હાથમાં સહેલાઈ આવે. આમ થવાથી તેને બહુ ઝડપથી વીણી લઈ શકાય. ક્રેનબેરીના રાતા રંગને લીધે ખેતર જાણે રાતા રંગ ના પાણી થી ભરેલું ન હોય તેવું જ દેખાય. એટલે, પાણી તો પાણી જેવું જ હોય, તેનો રંગ ખરેખર બદલાયો ન હોય પણ તેની ઉપર તરતા લાલ ક્રેનબેરીઓને લીધે તે પાણી લાલ દેખાય. ક્રેનબેરી વીણાઈ જાય પછી પાણી લાલ ન દેખાય. આપણા શીંગોડાનું પણ કાંઈક એવું જ હોય છે. ત્યાં પણ પાણી તો પાણી જેવું જ હોય પણ શીંગોડાની તરતી લાલ ડાખળીઓને લીધે પાણી લાલ દેખાય. આપણે ત્યાં બે પ્રકારના શીંગોડા થાય છે. એક પ્રકાર જે હમણાં વર્ણવ્યો તે. તેની ફસલ દિવાળી દરમિયાન આવે. તેની છાલ કઠણ હોય અને તેને કાંટા પણ હોય. બીજા પ્રકારના શીગોડા ચોમાસામાં આવે તેની છાલ બહુ કઠણ ન હોય અને તેને કાંટા પણ ન હોય. આ પ્રકારના શીંગોડા જે તળાવમાં ઊગે તે તળાવનું પાણી લાલ ન દેખાય પણ લીલું દેખાય કારણ કે આ પ્રકારના શીંગોડાના ડાખળાં લીલા રંગના હોય છે.

કેનેડાના હાઈ-વે પર ૯૦ કિલોમિટરની સ્પીડ-લિમિટ છે. દુનિયાના બીજા દેશો કરતાં ઓછી કહેવાય. ઊમોદીને બહુ વધારે ગતિથી કાર ચલાવવાનો કોઈ વિશેષ શોખ નથી પણ તેને ૯૦ની સ્પીડ તો બહુ ઓછી લાગતી. પણ એ ‘ધીમી’ ગતિ જાણે તેના મગજને બીજા વિચારો કરવા અવકાશ આપી રહી હતી. 

તેને પ્રશ્ન થયો કે શીંગોડાને અંગ્રેજીમાં ‘વોટર-ચેસ્ટનટ’ શા માટે કહેવું? યુરોપના લોકો ૨૦૦-૩૦૦ વર્ષ પૂર્વે જ્યારે ભારતમાં તેમ જ અગ્નિ-એશિયામાં આવ્યા હશે ત્યારે તેમણે તળાવમાં ઊગતા શીંગોડા કદાચ પહેલી જ વાર જોયા હશે. તે ફળ નો દેખાવ તેમને યુરોપના ફળ ‘ચેસ્ટનટ’ને મળતો લાગ્યો. ચેસ્ટનટ વૃક્ષ પર ઊગે અને શીંગોડા પાણીમાં. તેથી ગોરીયાઓએ શીંગોડાનું નામકરણ ‘વોટર-ચેસ્ટનટ’ કર્યું હશે. ઊમોદીને થયું કે આપણે ત્યાં ક્રેનબેરી કે ચેસ્ટનટ થતા નથી તેથી આપણી ભાષામાં જ્યારે તે ફળોની વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે આપણે તો તેમનું કોઈ જૂદું નામકરણ, ‘તરતા-બોર’ કે ‘વૃક્ષીય-શીંગોડા’ કે એવું કાંઈ કરતા નથી. તો આ ગોરાઓ આપણાં આવા વિશિષ્ટ ફળોને પણ આપણી જ ભાષામાં ઓળખે તો કેવું સારૂં? ‘વોટર-ચેસ્ટનટ’ કહેવાને બદલે ‘SHINGODA’-શીંગોડા એમ જ ન કહેવું જોઈએ?

અમેરિકાની સીલીકોન-વેલીનું મુખ્ય શહેર સાન-હોસે. આ તે જ શહેર જ્યાં ૨૦૧૫માં નરેન્દ્ર મોદી ફેસબુક, ગુગલ, ટેસ્લા વગેરે કંપનીઓના વડાઓને અને અમેરિકામાં વસતા ૪૦-૪૫ હજાર ભારતીય મૂળના માણસોને મળીને એક ઇતિહાસ રચેલો.  તે સાન-હોસે શહેરનું નામ મેક્સિકો દેશથી આવીને અમેરિકામાં વસેલા સ્પેનિશ ભાષી લોકોએ આપેલું છે. આ મેક્સિકન પ્રજા અમેરિકામાં ‘હિસ્પેનિક’ તરીકે ઓળખાય છે. ‘સાન હોસે’ શબ્દની રોમન-લીપીમાં જોડણી ‘SAN JOSE’ (સાન-જોસ) છે. નહીં કે  ‘SAN HOSEY’ (સાન-હોસે). તેમ છતાં પણ અમેરિકાના પ્રમુખથી માંડીને કોઈ સામાન્ય માણસ પણ તે શહેરને સાન-હોસે તરીકે જ ઓળખે છે કારણ કે સ્પેનિશ ભાષામાં ‘J’ નો ઉચ્ચાર ‘H’ થાય અને તેથી ‘SAN JOSE’ નો ઉચ્ચાર ‘સાન-હોસે’ એમ થાય છે. પણ જો આ હિસ્પેનિકોએ અંગ્રેજી પ્રમાણે ‘સાન-જોસ’ બોલવાનું કર્યું હોત તો તેમના પર રાજ કરતી અને વધારે પ્રભાવશાળી અંગ્રેજી-ભાષી પ્રજા અને સરકાર તે શહેરને આજે સાન-જોસ કરીને જ ખપાવતે. એ લોકોએ પહેલેથી જ સાન-હોસેનું સાન-જોસ ન થવા દીધું. (તે પ્રમાણે મેક્સિકન વાનગીઓમાં વપરાતા મરચાની રોમન જોડણી જેલેપીનો-JALAPENO- છે પણ તે બોલાય છે ‘હેલેપીનો’). આપણી તો વાત જ ન્યારી છે. આપણે ‘મુંબઈ’ નામ પકડી ન રાખ્યું અને તેને ‘બોમ્બે’ થવા દીધું. પરદેશીઓએ આપણને આપેલા નામો આપણે તો કહ્યાગરા-ગુલામની જેમ વધાવી લીધા. આજે પણ જો કોઈ મૂળ નામ વાપરવાનો પ્રયત્ન કરે તો આપણે હજુ ય માલિકને-વફાદાર-ગુલામની જેમ સાચા શબ્દ પ્રયોગ કરનારની ઠેકડી ઊડાડીએ. આપણી આવી માનસિકતાને લીધે જ તો આપણા પર આક્રમણ કરનારાઓ અને દગો કરીને આપણને ગુલામ બનાવનારાઓ આપણા નામો બદલાવી શક્યા. વાત ત્યાં જ અટકી નહીં પણ સ્વાતંત્ર્ય પછી દેશપ્રેમીઓને મૂળ નામ પુનઃ સ્થાપિત કરવા ઘણી જહેમત લેવી પડી કારણ કે મનથી ગુલામ આપણને બરોડા, બોમ્બે, બનારસ, વગેરે બોલવું અડવું લાગતું જ નથી.  કોઈ કહેશે કે આપણે બાયલા છીએ, આપણામાં દમ નથી પણ ઊમોદીને થતું કે આપણા માણસોનો ખરેખર વાંક નથી, તેઓને ખોટું શિક્ષણ મળ્યું છે. જે દિવસે તેમને સાચો ‘ગુરુ’ મળશે અને બાપદાદાના અમૂલ્ય વારસાની કિંમત સમજાશે તે દિવસે તે રાતોરાત બદલાઈ જશે. પણ તે માટે ગુરુ બદલાવવો પડશે. સ્વાધ્યાય વાળા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ તેમના પ્રવચનમાં એક વાર જ્યોતિષી-શાસ્ત્રનો દાખલો આપીને હળવા અંદાજમાં સરસ સમજાવેલું. આપણી સુર્યમાળાના બધા ગ્રહોમાં ગુરુ સહુથી મોટો ગ્રહ છે. જ્યોતિષીઓ કહે છે કે વ્યક્તિની કુંડળીમાં ગુરુના ગ્રહનું સ્થાન બહુ અગત્યનું છે. કુંડળીમાં જો ગુરુ બદલાય તો તેનું ભાગ્ય પણ તે પ્રમાણે બદલાય. આપણને તો એવા ગુરુઓ મળેલા છે જેઓ પોતાની વસ્તુઓ માટે ગૌરવના બદલે ક્ષોભ અનુભવતા હોય છે અને એમને માત્ર પરદેશી ચીજો જ યોગ્ય લાગે છે. પરંતુ આપણને જો સરખો સંસ્કૃતી-પ્રેમી ગુરુ મળી રહેશે તો આપણી પણ દૃષ્ટિ બદલાશે અને ભાગ્ય પણ.

પાંચ વર્ષના પૌત્રને ફિલ્ડ-ટ્રિપ માટે રિચમંડના ટેરા-નોવા-પાર્કમાં લઈ જવાનો છે. એ ૬૩ એકરનો વિશાળ પાર્ક છે પણ તે જોવાનું આજનું ધ્યેય નથી. પાર્કમાં ઘણી નાની-મોટી સંસ્થાઓ સમાજોપયોગી પ્રવૃત્તિઓ ચલાવે છે. આમાંની એક સંસ્થાનું નામ છે, ‘The Sharing Farm’-‘ધ શેરિંગ ફાર્મ’, જે જોવા આ બેઉ નીકળ્યા છે. આ ફાર્મ એક ખેતર છે. અહીં કોઈ કામદાર નથી પણ સ્વયંસેવકો ખેતી કરે છે. રોજ એક જૂદી ટોળી ત્યાં સેવા આપવા આવે. બધાને વારા બંધી આપ્યા હોય. ઋતુ પ્રમાણે બટાકા, ટામેટા, ગાજર, લસણ, ડુંગળી, ફુદીનો, વટાણા, કોબી, વગેરે શાક-ભાજી અને ગુલાબ, ટ્યુલિપ વગેરે જેવા ફુલ ની ઊપજ ત્યાં થાય છે. તેમની મોટા ભાગની ઊપજ સરકાર દ્વારા ચલાવાતા ગરીબો માટેના સૂપ-કિચનમાં આપવામાં આવે છે. વધારાની ઊપજ તેઓ બજારમાં વેચે તેમ જ તેમનું કામ જોવા આવનારા પર્યટકો થોડી-ઘણી ખરીદી જાય. આમ થતી આવક વડે સંસ્થા ચાલે છે.

શાળાઓએ ફરજીયાત આવી ફિલ્ડ-ટ્રિપ યોજવી પડે જેમાં બાળ-મંદિરના બાળકોથી માંડી ૯મી-૧૦મી સુધીના વિદ્યાર્થીઓ અહીં આવે. અહીં તેમને ખેતીવાડી, બીયારણ, કોંપોસ્ટ-ખાતર, અળસીયા, પતંગીયા, મધમાખી, પાંદડાના વિવિધ આકારો, રંગો અને સુગંધો વગેરે બતાડીને પરોપકારી સંસ્થાના સ્વયંસેવકો બાળકોની નિસર્ગ સાથે ‘મૈત્રી’ કરાવે. આમ બે-ત્રણ કલાકના કાર્યક્રમ પછી તેમની શાળાના શિક્ષક સાથે બાળકોનો ગ્રુપ-ફોટો પાડે અને બાળકોને વિદાય આપતી વેળાએ ટામેટા કે વટાણાના બીયા અથવા રંગ-રંગના ફુલોના બીયા ભરેલું પડીકું આપે જે વડે બાળકો ઘેર જઈ પોતપોતાના ઘેર કુંડામાં કે જમીનમાં ઊગાડી શકે. આ કામમાં બાળકને ઘેરે મા-બાપની સહાયતાની પણ જરુર પડે. આવી ટ્રિપના બે-ત્રણ દિવસો પછી તેમને ગ્રુપ-ફોટો પણ મળી રહે. આવી રીતે પોતાને ઘેર પણ બાળક અને તેના મા-બાપ સુધ્ધા નિસર્ગ સાથેનો સંબંધ જાળવી રાખી શકે. 

શેરિંગ ફાર્મ જોઈને સ્વાધ્યાય વાળા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો ‘યોગેશ્વર-કૃષિ’ યાદ આવવો સ્વાભાવિક જ હતો કારણ તે તેમાં પણ વારાફરતી દરરોજ સ્વાધ્યાયીઓની જુદી જુદી ટોળીઓ કૃતિ-ભક્તિ માટે આવીને ખેતી કરતા હોય છે. જો કે આમ સરખી દેખાતી બન્ને પ્રવૃત્તિઓ વચ્ચે મોટો તાત્વિક ફરક છે. એકની પ્રેરણા ગરીબો માટે કાંઈ કરી છૂટવાની છે જ્યારે બીજામાં પ્રભુ પરત્વેની કૃતજ્ઞતા નિભાવવાની છે. આવી કોઈ પ્રવૃત્તિઓ જો આસપાસમાં ચાલતી હોય તો આપણે અને આપણા બાળકોએ ત્યાં અવશ્ય જવું જ જોઈએ એવું આપણને લાગ્યા વગર ન રહે. 

આવી બધી વાતો કરી સૌને નિત-નવી જાણકારી આપવી તે ઊર્મિલા બહેનનો સ્થાયી સ્વભાવ છે. આજે તેઓ ૮૩-૮૪ વર્ષના છે, સ્વાસ્થ્ય પણ સાથ નથી આપતું, છતાં પણ મુંબઈમાં ઊમોદીના ઘરની સામેના વિશાળ પીપળા પર નવી કુંપળ ફૂટે કે કોયલ ટહુકે કે દૂર ક્યાંકથી મોરનો હળવો કેકારવ સંભળાય ત્યારે ત્યારે, ઊર્મિલા બહેન જરૂર તેની નોંધ લે છે અને ભલે કોઈ સાંભળે કે ન સાંભળે પણ અવશ્ય તેનો ટહુકો કરી જણાવી દે. હા, તેમનો ટહુકો પૌત્રી-પ્રપૌત્રો સુધી પંહોચવો સહેજ કઠણ છે કારણકે તેઓ હજારો કિલોમિટર દૂર, પરદેશમાં રહે છે. પહેલા તો પૌત્રી તેમને વિમાનની ટિકિટ મોકલાવીને બા ને બોલાવી શકતી હતી પણ હવે નાદુરસ્ત સ્વાસ્થ્યનો સામનો કરી રહેલા બા કેમ વાનકુવર આવે?