Monday, December 8, 2025

માઓવાદી વચ્ચે નરેન્દ્ર મોદી, તીર કામઠા... વનવાસીઓ... પાતળી લાકડીના તીર... કપડું ય લૂંટી લેશે (પ્રકરણ 41, પુસ્તક ઊમોદી Umodi)

Chp 41 Book UMODI 

ઘરમાં એવું કાંઈ બન્યુ નહોતું પણ જે રીતે તે ઘરમાં ગોળ ગોળ આંટા મારી રહી હતી તે જોતાં, ચોક્કસ, ઊર્મિલા કોઈ ચિંતા માં હતી. ઊમોદીથી રહેવાયું નહીં. તેણે મા ને પૂછી જ નાખ્યું. ઊર્મિલા પોતાની સૃષ્ટિમાં હતી. તે કાંઈક બોલી. અસ્પષ્ટ હતું: “તીર કામઠા... વનવાસીઓ... પાતળી લાકડીના તીર…. કપડું ય લૂંટી લેશે, દાંતેવાડ Dantewada બહુ ખરાબ...”. ઊમોદી ખાસ સમજ્યો નહીં. ઊર્મિલાએ ભારતના મધ્ય ભાગમાં આવેલા ગામો, શહેરો, પર્વતો, જંગલો અને નદીઓ વિષે ઘણી વાતો ઊમોદીને કરી હશે પણ આજ સુધી ‘દાંતેવાડ’ એમ નામ લઈને કોઈ વાત નહોતી કરી. ઊમોદીએ દાંતેવાડ નામ છાપામાં વાંચ્યું હતું અને તેને એમ લાગતું હતું કે તે જગા તો માઓવાદીઓને કારણે જાણે હાલમાં જ જાણીતી થઈ હતી, તો પછી મા તે જગાને કેવી રીતે જાણે? વળી, થોડા વખત પહેલા તે પોતે જ્યારે Maoist માઓવાદીના ભયંકર વિસ્તારમાં કામ માટે ગયો હતો ત્યારે પણ માએ દાંતેવાડની વાત કરી નહોતી. આજે ૨૦૧૫ માં ઊર્મિલાને દાંતેવાડ ક્યાંથી અને કેમ કરતાં યાદ આવ્યું હશે? અને કોણે તીર વાગી જશે તેની ચિંતા તેને સતાવતી હતી? Dementia ડિમેન્શિયા-સ્મૃતિવિભ્રમથી પીડાતી ઊર્મિલાના મગજમાં શું ચાલી રહ્યું હશે તે કેમ કહી શકાય? ઊમોદીને તેણે વિચારતો કરી મૂક્યો. ઊમોદી માઓવાદીઓ થી ત્રસ્ત વિસ્તારમાં કામ કરવા ૨૦૧૧માં ગયો હતો. એક મલેશિયન કોન્ટ્રાક્ટરે Chandrapur ચંદ્રપુર જીલ્લાના Warora વરોરા ગામમાં ૬૦૦ મેગા વોટ નો શક્તિશાળી થર્મલ-પાવર પ્લાન્ટ બનાવવાનો કરાર કર્યો હતો. પરંતુ ત્રાસવાદીઓની ધમકીઓ, મનમાગી ખંડણી, પોલીસની ઊઘરાણી, રાજકીય નેતાઓની દખલ, સરકારી ઓફિસરોની લાંચની સતત માંગ અને કામદારોના રોજીંદા ઉભા થતા પ્રશ્નોથી તેઓ થાકી ગયા હતા. તે બધી કઠણાઈમાંથી કંપનીને ઉગારવાનું બીડુ ઊમોદીએ ઊપાડેલું. અહીં “માન ન માન મૈં તેરા મહેમાન”ની જેમ તમારે રોમાંચિત થવું હોય કે ન હોય પણ રોમાંચનો ડોઝ ઊમોદીને રોજ મળી જ રહેતો. “માઓ-વાદી” શબ્દ વારંવાર સમાચારમાં હોય છે. જે વખતે ચીન ના રાજા Chuang-Kai-Shaik ચિયાંગ-કાઈ-શેકનું રાજ હતું, તે વખતે માઓ-ત્સે-તુંગ નામના માણસે લોકોને બળવો કરવા પ્રેર્યા અને તે બળવાની નેતાગીરી તેણે કરી. પણ આ બળવો સામાન્ય બીજા બળવા કરતાં બહુ જ વધારે પડતો ક્રૂર હતો. રાજા અને સેના ઉપર હુમલો થાય તે સમજી શકાય, પણ પોતે સામ્યવાદી હોવાના કારણે ગામેગામના સરકારી કારકૂનો, ધનિકો, મોટા ખેડૂતો, વેપારીઓ એમ બધાનો અંધાધુંધ સંહાર કરીને અને વ્યાપક અરાજકતા પ્રસરાવીને માઓએ રાજ્ય ક્રાંતિ કરેલી. બાળકને રાંધીને તેનું માંસ બળજબરીથી મા ને ખવડાવવા જેવી ભીષણ ક્રૂરતા માઓ-વાદી ક્રાંતિમાં સામાન્ય વાત હતી. ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી ચાલેલા આ બળવામાં લગભગ ૧૫ લાખ માણસોએ પ્રાણ ખોયા. અંતે રાજા ચિયાંગ-કાઈ-શેક હારીને Taiwan તાઈવાન ટાપુ પર ભાગી ગયો અને ચીનમાં હાલની જે સરકાર છે તે સત્તા પર આવી હતી. એ જ વિચારધારા વાળા સામ્યવાદીઓએ ભારતમાં CPI (Maoist) નામે રાજકીય પક્ષ સ્થાપેલો અને વર્ષોથી ભારતમાં ચીનના જેવી લોહિયાળ ક્રાતિ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સૌ પ્રથમ હિંસા તેઓએ બંગાળના નક્સલબારી નામના ગામે કરી હોવાથી, ભારતમાં માઓ-વાદીઓ “નક્સલવાદી” તરીકે પણ જાણીતા છે. ભારતનાં દુર્ગમ જંગલોમાં છૂપાઈને તક મળે ત્યારે તેઓ આતંકી હુમલા કરતા રહે છે. તેમની આવી ખૂંખાર ગતીવિધી જોઈને ભારત સરકારે CPI (M) પક્ષ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારની સતર્કતાને લીધે ભારતના માઓ-વાદીઓ ઉપર થોડોઘણો અંકુશ તો આવ્યો છે પરંતુ ઝારખંડ, આંધ્ર, તેલંગના, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં તેમની ગતિવિધિ હજુ ચાલે છે. રોજ કાંઈક ને કાંઈક ખતરનાક ત્યાં બનતું જ હતું. લેબર યુનિયન વાળાઓની ધમકી, કોઈ સરપંચ, પોલીસ કે લેબર-કમિશનરની પૈસાની માગણી, ‘શિવસેના’ કે ‘મનસે’ વાળાઓની પણ તેવી જ ધમકીભરી માગણી હોય, માથાભારે મજૂરોની મારામારી, કોઈ લોહીલુહાણ થયો હોય. આવું બધું તો સાવ સામાન્ય ગણાય. એક વખત તો તડીપારની સજા પામેલો એક ગુંડો હાથમાં ખુલ્લું ચાકુ લઈને પોતાના બે સાગરીતો સાથે ઊમોદીની કેબિનમાં આવેલો ત્યારે ઓફિસમાં સહુ ભયભીત બની સ્તબ્ધ થઈ ગયા હતા. પેલા ગુંડાએ ધારદાર ચાકુ ઊમોદીના ટેબલ પર મૂક્યું. સામે બે ખુરશીઓ હતી તેમાંથી એક પર બેસી ગયો. બે સાગરીતો ઉભા રહ્યાં. પેલા ગુંડાએ ટેબલ પર પડેલા ચાકુને ભમરડાની જેમ ટેબલ પર ઘુમાવ્યું. જાણે કે ઘડિયાળનો કાંટો ટેબલ પર ગોળ ગોળ ઘૂમી રહ્યો હોય. ઊમોદીએ પલકારા ના સમયમાં શું કરવું તે નક્કી કરી નાખ્યું. તેને ડર તો લાગ્યો પણ તે બતાવ્યા વગર તેણે ગુંડાની આંખમાં આંખ નાખીને પુછ્યું: “मारनेके लीये आया है?” આ વાક્યની શી ખબર શું અસર થઈ પણ તે જાણે એકાએક થંડો થઈ ગયો. પછી તો ઘણી વાત થઈ, તેના બે સાગરીતો માટે ઊમોદીએ ખુરશીઓ મંગાવી. બધાને ચા-પાણી પિવડાવ્યા અને રવાના કર્યા. ઊમોદીની ગુંડાઓ સાથે જે વાતો થઈ તે લખવા માટે તો એક પુસ્તક લખવું પડે પણ ટુંક સાર એ હતો કે મૂળે તે ખેડુત હતો પણ ખોટી ટેવોમાં ખુવાર થઈ ગયા પછી હવે તેને આ નવો ગુંડાગીરીનો ધંધો શરુ કર્યો હતો. પૈસાવાળા ઉદ્યોગપતિઓને ડરાવીને નક્સલવાદીનો ડોળ રચીને પૈસા કઢાવવા બહુ સહેલા હતા તેથી તેણે એ ધંધો ચાલુ રાખ્યો હતો. પણ હવે તેને ખેતી તરફ પાછા વળવું હતું. ગુંડાઓ કાંઈ કર્યા વગર શાંતિથી પાછા ચાલ્યા ગયા તે તો કંપનીના સ્ટાફ માટે એક ચમત્કાર જ હતો. બધાના જીવમાં જીવ આવ્યો. ઊમોદીને થયું કે આજે તો રોમાંચનો ખરેખર ઓવરડોઝ જ થઈ ગયો છે. નાનપણમાં ઊર્મિલા આવા વિસ્તારમાં રહી હતી અને ત્યાંની ઘણી બાબતોથી જાણકાર હતી. તેથી રજામાં, ચન્દ્રપુરથી માને મળવા ઊમોદી મુંબઈ આવતો ત્યારે તે આવી બધી વાતો કરતો. માને તે બધું જાણવું ગમતું. વરોરા ગામમાં બાબા આમ્ટેએ રક્તપિત્તિયા માટે એક મોટી વસાહત બનાવી છે. આ વસાહત  Anand Wan ‘આનંદવન’ તરીકે ઓળખાય છે. 




બાબા આમ્ટેના ગુજરી ગયા પછી હવે તેમના પુત્રો આ વસાહતને સંભાળે છે. તેમના એક પુત્ર, ડૉ. પ્રકાશ આમ્ટે સાથે ઊમોદી ની ઓળખાણ થયેલી. તેમની સાથે થયેલી વાત, તથા જેઓના શરીરના અંગો ખરી ગયા હોય તેવા લોકો કેવી રીતે જીવન ગુજારતા હશે તે બધી વાતો મા ખાસ રસ લઈને સાંભળતી. તે વસાહત બની તે પહેલા ત્યાં વન હતું. તે વસાહતની અડોઅડ આજે પણ જંગલ છે અને આજે પણ એ જંગલમાં વાઘ ની વસ્તી છે. વાધની જાત સમુળગી નષ્ટ થઈ ન જાય તે માટે મહારાષ્ટ્ર સરકારે અહીં વાઘ માટે અભયારણ્ય-Tiger reserve સ્થાપ્યું છે. એ  Tadoba Tiger Reserve ‘તાડોબા વાઘ અભયારણ્ય’ નામે ઓળખાય છે. આ અભયારણ્ય માં આજે લગભગ ૧૦૦ વાઘો રહે છે. આખા ભારતમાં ૫૦ અભયારણ્ય ખાસ વાઘ માટે બનાવેલા છે. આખા ભારતમાં ૨૦૦૬માં માત્ર ૧,૪૧૧ વાઘો બચેલા. પણ સરકાર અને નાગરીકોના સમજણ પૂર્વકના સહકારથી ભારતમાં દર વર્ષે ઉત્તરોત્તર વાઘની વસ્તી વધી રહી છે. ૨૦૧૮ની ગણતરી પ્રમાણે ભારતમાં હવે ૨,૯૬૭ વાઘ છે. આખી દુનિયાના ૭૦ ટકા વાઘ એકલા ભારતમાં જ છે. આ સીધ્ધી માટે World Wildlife Fund and Global Tiger Forum ભારતના સફળ પ્રયાસને બીરદાવે છે. ઊર્મિલાએ કહેલું કે તે વિસ્તાર માં તેના દાદા વાઘનો શિકાર કરવા ગોરાઓ સાથે જતા. અંગ્રેજો તે જંગલોમાંથી માલગાડીઓ ભરી ભરીને ઇમારતી લાકડું ઈંગ્લેન્ડ લઈ જતા. એમ કહેવાય છે કે અંગ્રેજોના મહેલોમાંનું ઘણું ફર્નિચર અહીંના લાકડામાંથી જ બન્યું છે. વળી આ પ્રદેશમાં કોલસો ખૂબ નિકળે છે. જ્યાં ખોદો ત્યાં કોલસો નીકળે. તેથી અંગ્રેજો અહીંથી ગાડીઓ ભરીને કોલસા પણ યુરોપ ભેગા કરતા. આવી અનેક વાતો ઊર્મિલા કહેતી પણ આજ સુધી દાંતેવાડના વનવાસીઓના તીર-કામઠાની કોઈ વાત કરી નહોતી તેથી ઊમોદીને કૌતુક થાય તે સ્વાભાવિક હતું. ભારતમાં માઓવાદીઓના ત્રાસથી સૌથી વધુ પિડીત જિલ્લો તે Gadchiroli ગઢચિરોલી જિલ્લો. ત્યાં જવું એટલે માથું હથેળીમાં રાખીને જવાનું. ઊમોદી જ્યાં કામ કરવા ગયો હતો ત્યાંથી આ જગા લગભગ ૬૦-૭૦ કિલોમીટર દુર હશે. Vainganga વૈણગંગા નામની નદીને કિનારે માર્કંડેય મુનિએ શંકર ભગવાન અને યમ દેવનું મંદિર સ્થાપેલું. આ અતિ પ્રાચીન મંદિર તેની અદભુત કોતરણી અને પવિત્રતા માટે જાણીતું છે. પરંતુ ત્યાં જાય કોણ? તેની જાળવણી કોણ કરે?
Markanda Mahadev Temple Complex is situated at the River banks of Wainganga River near Chamorshi town in Gadchiroli District of Maharashtra, Built in 8th Century CE.

જૂની કલાકૃતિઓના ચોરોએ કેટલીયે પત્થરની સુંદર કોતરેલી મુર્તિઓ અને દીવાલો પરના અગણિત કોતરેલા પત્થરો ચોરી લીધા છે. હજારો વર્ષ પહેલાં, Mrikund મૃકંડુ ઋષિ અને તેમની પત્ની Marumati મરુડમતી એ બાળક માટે તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થયેલા શંકર ભગવાને પુછ્યું કે તને કેવો પુત્ર જોઈએ છે? બુદ્ધિમાન પણ અલ્પ આયુ વાળો કે સામાન્ય બુદ્ધિ પણ લાંબી આયુ વાળો? ઋષિ દંપતિએ અલ્પ આવરદા વાળો બુદ્ધિમાન પુત્ર માગ્યો. તે પુત્ર માર્કડેય મુનિ તરીકે જાણીતો થયો. બાળપણથી જ અતિ-બુદ્ધિમાન પુત્ર જ્યારે ૧૬ વર્ષનો થયો ત્યારે યમ દેવ તેને લેવા આવ્યા. પરંતુ બચપણથી તેણે શિવભક્તિ કરીને યમદેવને હંફાવ્યા અને લાંબુ આયુષ્ય મેળવ્યું તેવું પુરાણોમાં લખ્યું છે. ઊર્મિલાએ તેના દીકરાને નાનપણમાં માર્કંડ મુની ની વાત કરી હતી અને આ મંદિરની પણ વાત કરી હતી. તેથી ઊમોદીએ વિચાર કર્યો કે બાને એક સાનંદ આશ્ચર્ય થાય તેવું કંઈક કરવું. જે મંદિર અનેક વર્ષોથી ઉપેક્ષા, ભાંગફોડ અને ચોરીઓનું ભોગ બન્યું છે, તેનું શિખર પણ તુટી ગયું છે, જ્યાં દર્શન કરવા જવું તે પણ ખતરનાક હતું છતાં તેણે ત્યાં જવાનું નક્કી કર્યું. રસ્તો ગીચ જંગલમાં થઈને જાય છે. રસ્તામાં વચ્ચે વચ્ચે સરકારે વાંસના વાવેતર અને વાંસના રોપાઓ માટેની નર્સરી ઉભી કરી છે જેથી માઓવાદી વનવાસીઓ પાસે જો તેમને માફક આવે તેવું કમાવવાનું સાધન હોય તો તેઓ ગુનાહિત જીવનના બદલે મહેનત કરીને કમાણી કરી શકે. ભગ્નાવેષ મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને ઊમોદીએ મોબાઈલ ફોનથી મા ને ફોન જોડ્યો. પોતે ક્યાં ઉભો રહીને વાત કરી રહ્યો છે તે જણાવ્યું ત્યારે ઊર્મિલાના મનમાં જે આનંદની છોળ ઉઠી હતી તે ફોનમાં સાભળીને ઊમોદીને સાહસ ખેડ્યુ વસૂલ લાગ્યું. પણ આજે આટલા દિવસે મા ને દાંતેવાડ કેમ યાદ આવ્યું હશે તેનું રહસ્યોઘાટન તો ત્યારે થયું જ્યારે છાપામાં વાંચ્યું કે આજે Narendra Modi નરેન્દ્ર મોદી માઓ ત્રાસવાદીઓની ચુંગાલમાં ફસાએલા છત્તીસગઢની મુલાકાતે જવાના છે. તે ૯મી મે ૨૦૧૫ નો દિવસ હતો. મા ની વાત સાચી હતી, દાંતેવાડના વનવાસીઓ તીર-કામઠાનો ઉપયોગ હજુ કરે છે. કોઈને મારી નાખવા તે તો તેમના માટે મામૂલી વાત છે. જંગલમાં કોઈ એકલદોકલ માણસ મળી જાય તો આ વનવાસીઓ તેમને લૂંટી લે. એવા બનાવો બન્યા છે કે માણસના પહેરેલા કપડા સુધ્ધાં લૂંટી લેવાયા હોય. આ મારી મા તે કેવી છે? મારા કરતા વધુ લાગણી તો તેને નરેન્દ્ર મોદી માટે છે. ઊમોદીના મનમાં ઈર્ષાની લાગણી ફરકી ગઈ કે હું, તેનો સગો દીકરો માઓ-વાદી વિસ્તારમાં રાતદિવસ ખતરાથી ખેલતો હતો પણ તોય મા ને તેની એટલી ચિંતા નહોતી થઈ જેટલી તે આજે નરેન્દ્ર મોદી માટે કરે છે.આવું તો આજે જ જોયું. ઊર્મિલાની એક ઈચ્છા પુરી ન થઈ, તે મરતાં પહેલાં નરેન્દ્ર મોદીને મળવા માગતી હતી.

No comments:

Post a Comment