નીલેશ મધુસૂદન શુક્લ
લખું છું એટલા માટે કે મારે કાંઈ કહેવું છે I write because I want to say something.
Friday, August 11, 2023
ક્રિએટિવ પ્રકાશને કરી વધુ પૃષ્ઠ અને નવા મૂલ્ય સહિત “ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી” મારા પુસ્તકના નવીન સંસ્કરણની જાહેરાત
Sunday, May 28, 2023
વિરોધીઓને અણધાર્યો આંચકો અને ભાજપને છપ્પરફાડ લાભ -- વાત છે સમાજમાં એકાએક ઉપસ્થિત થયેલા "સેંગોલ" અને "ચોલા રાજવંશ"ના વાર્તાલાપની
જ્યારે તેમણે નવી સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે વિવાદ ઉભો કર્યો ત્યારે વિરોધ પક્ષોને સહેજ પણ અંદાજ નહોતો કે તેમણે અજાણતા એવી ચાંપ દબાવી દીધી છે કે જેનાથી આખા ભારતમાં ભારતીય પુરાતન સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ વિશે લોકોમાં ન શમી શકે તેવો રસ જાગૃત થઈ જશે.
૨૪ કલાકથી ઓછા સમયમાં, વિસ્ફોટક ગતિથી પ્રાચીન તમિલ ભાષાનો શબ્દ “સેંગોલ” અને પ્રાચીન તમિલ સંસ્કૃતિ આપણા દેશની જાહેર ચર્ચામાં અચાનક જ પ્રવેશી ગયા છે. ચોલ સામ્રાજ્ય, રાજ-ધર્મ, સેંગોલ (રાજ-દંડ), તેના પર સ્થાપિત શિવ ભક્ત નંદી, નંદીનો સત્ય, સચ્ચાઈ, ધૈર્ય, શાંતિ, શક્તિ, રાષ્ટ્ર પ્રત્યે વફાદારી અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત સેવાની ભાવનાનો સંદેશ, વગેરે જેવા વિષયો માટે સમાજમાં જે ઉત્સાહ ઊભો થઈ ગયો છે તે ભાજપ જેવા રાષ્ટ્રવાદી લોકોને ભલે ખૂબ ગમશે પણ તેમના વિરોધીઓ, સામ્યવાદીઓ અને તેમના જેવા સમાન વિચારધારા ધરાવતા પક્ષોને ઘણો ખટકશે. ભારતની ભોળી પ્રજાને પ્રાચીન સંસ્કૃતિથી વિમુખ કરવાના પ્રયાસ અનઅપેક્ષીત રીતે જાણે ઘરાશાયી થઈ ગયા. આવું દુઃસ્વપ્ન તો તેમણે કદી વિચાર્યું નહીં હોય.
જાણે કે આ આંચકો પૂરતો ન હતો તેમ, ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની રાત્રે સત્તા સ્થાનાંતરણ વખતે ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ પવિત્ર સેંગોલ ધારણ કર્યાના ઈતિહાસને નકારી કાઢતાં લગભગ ૨૦ જેટલા વિપક્ષીઓને કાપે તો લોહી ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ જ્યારે સંશોધનકર્તાઓએ તે કાળના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસમાં, વૃત્તપત્રોમાં વગેરેમાં પ્રસિદ્ધ થયેલા ઐતિહાસિક અહેવાલ અને ફોટોગ્રાફ્સ સમાજ સમક્ષ મુક્યા. ભારતની સામાન્ય પ્રજાએ પણ જોયું કે રાજ-દંડની વાતને તે કાળના વૃતાંતમાં સારી રીતે આવરી લેવામાં આવ્યું હતું. જવાહરલાલ નેહરુના વંશજોને જ જો આ મહત્વપૂર્ણ સત્યની જાણ સુદ્ધાં ન હોય તો તે વાત ભારે શરમજનક કહેવાય.
જો કે, હજી તો શરમના મુગટ પરની કલગીની વાત કરવાની બાકી છે. પ્રયાગરાજના જે અલ્પ-પ્રસિદ્ધ પ્રાંતીય સંગ્રહાલયમાં સેંગોલ રાજ-દંડ રાખવામાં આવેલ ત્યાં એક કાગળ કે પુંઠાની ચબરખી પર સત્તાવાર નોંધ હતી- પં જવાહરલાલ નેહરુને ભેટમાં આપેલી "ગોલ્ડન વૉકિંગ સ્ટીક"
સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનને સત્તા સ્થાનાંતરિત કરવા માટે છેલ્લા બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટન દ્વારા એક સત્તાવાર સમારોહમાં, તમિલનાડુના એક પ્રાચીન મંદિરના આદરણીય વિદ્વાન સંતો દ્વારા યોગ્ય રીતે પવિત્ર કરાયેલા સેંગોલ રાજ-દંડને કોઈ ગૌણ સંગ્રહાલયમાં વર્ષો સુધી ગોંધી મૂકવામાં આવે છે અને તેને "વૉકિંગ સ્ટીક" કહેવામાં આવે છે. આવું જોઈને સાંભળીને શું દેશપ્રેમી લોકોના કાળજા ચિરાઈ ન જાય?
લાગે છે કે વિપક્ષને નૂતન-સંસદ ઉદઘાટન બહિષ્કાર કરવાનો સોદો મોંઘો પડી ગયો.
Saturday, March 4, 2023
મારા નવા પુસ્તક “ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી” નું આજે પ્રકાશન થયું છે.
મારાં અગાઉનાં પુસ્તકો અંગ્રેજી ભાષામાં છે, પણ આ મારું ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક છે. (સાથે સાથે ચપટીભર અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનિશ, ડચ, સંસ્કૃત, હિન્દી, મરાઠી, સ્વાહિલી અને અરબી ભાષાઓનો ઉપયોગ પણ થયો છે.)
“ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી”
આ પુસ્તકમાં રાજકારણ, યુદ્ધો, જાસૂસી, ભાંગફોડ, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ઉદ્યોગો, વૂડૂ બ્લેક મેજિક, સ્વાસ્થ્ય, પરંપરાઓ, રીતરિવાજો, તહેવારો, ભાષાઓ, સંબંધો, રસોઈ, ખોરાક, વગેરે જેવા વિધવિધ વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનની સત્ય વાર્તાઓ વાંચવા મળે છે. સેંકડો એવા વિષયો છે કે જેની સાહિત્યમાં ભાગ્યે જ ચર્ચા થાય છે તેવી વાતોને લીધે વાચકને આ નવું પુસ્તક રસપ્રદ લાગશે. વિષય પ્રસ્તુતિ પણ સામાન્ય પુસ્તક કરતાં સાવ અલગ રીતે થયેલી છે. આ વાર્તા એક ખરેખર પ્રેરણાદાયી સ્ત્રી, ઊર્મિલાની આસપાસ વણાયેલી છે, જે ચાર બાળકોની સરેરાશ મધ્યમ વર્ગની માતા અને આનંદી પત્ની હોવાની સાથે, પોતાની રીતે એક મૌન ક્રાંતિકારી કરતાં જરાય ઓછી નહોતી. તે એક, બે એવા પાઠ આપે છે કે કેવી રીતે 'નારીવાદી (Feminist) બન્યા' વિના કેવી રીતે સૌમ્યતાથી નારીવાદી બનવું, અને કેવી રીતે 'પીડિત' (Victimhood) માનસિકતાનો ભોગ ન બનવું. તેણીનો જન્મ આજે 1933 માં થયો હતો, જો તે જીવતી હોત તો આજે તેનો ૯૧મો જન્મદિવસ તે ઉજવતી હોત.
અધ્યયન અને સામાન્ય જ્ઞાનની દૃષ્ટિએ આ પુસ્તક મૂલ્યવાન છે. તેથી જ તો, શૈક્ષણિક પુસ્તક પ્રકાશક, ક્રિએટિવ પ્રકાશને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક એક સારું વાંચન તો છે જ પણ તે સાથે જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગે એક સારી ભેટ આપવા લાયક પુસ્તક પણ છે.
નીચે આપેલી લિંકને અનુસરીને તમારી નકલ મેળવી
શકશો. એકાદ અઠવાડિયામાં એમેઝોન ઉપર પણ આ પુસ્તકની વિગતો અપલોડ થઈ જશે. ISBN:978-93-95389-01-3. Creative
Prakashan Email:www.creativeprakashan9@gmail.com. Price: Rs. 450/- * (ભારતમાં) $ 15/-* (પરદેશમાં) આજે જ ઘરબેઠા
પ્રાપ્ત કરો
https://creativeprakashan.spayee.com/courses/------63fb1192e4b07965060d7062#description
Sunday, April 25, 2021
વોકલ ફોર લોકલ ૨ - તમારું હોય તેનું જતન તમારે જ કરવું જોઈએ.
લોકલનું મહત્વ વધારવા પરદેશની મોટી કંપનીઓ પોતાની ઘણી વસ્તુઓના મોડેલના નામ પોતાના દેશ, ગામ, પર્વત, નદી વગેરે ઉપર આપતા જોઈ શકાય છે. ટેકોમા (Tacoma), સીએના (Sienna), ટસ્કન (Tuscan), પ્લાયમાઉથ (Plymouth) જેવા અનેક મોટરકારોના મોડેલો આપણે સાંભળ્યા છે. આ બધા નામ અમેરિકા અને યુરોપનાં ગામોના નામ છે. મોટરકાર આવી તે પહેલાનાં સાયકલ યુગમાં રેલી (Raleigh) નામની એક બહુ પ્રખ્યાત સાયકલ આવતી હતી, આજે પણ આવે છે તે રેલી પણ અમેરિકાના એક ગામનું નામ છે. કેન્ટ, કેનમોર વગેરે એપલાયન્સીસ બ્રાન્ડ પણ ગામના જ નામ છે. આપણે પણ જો આવું અનુકરણ કરી ભારતના ગામ, નદી, પર્વત વગેરેના નામ આપી શકીએ તો તેમને દેશ-પરદેશમાં જાણીતા બનાવી શકાય. ભારતની મોટી કંપનીઓ અને ઉદ્યોગપતિઓ જો આવું કરવા તરફ થોડું ધ્યાન આપશે, એટલે કે જો 'વોકલ' બનશે તો સહેલાઈથી આપણાં લોકલ સ્થાનો જાણીતા થશે. બોલે તેના બોર વેચાય.
Sunday, November 8, 2020
વોકલ ફોર લોકલ (૧) – તમારું હોય તેનું તમે જતન કરો
બાકીના બધા અક્ષરો તો ભારતની બધી ભાષાઓમાં હોય છે, પણ ગુજરાતી ભાષાના આ બે અક્ષરો, 'ળ' અને 'ણ' બીજી ભાષાઓમાં કાં તો નથી અથવા તો ઓછા વપરાશમાં આવે છે. આ વિશેષતાનો આપણે પૂરેપુરો ઉપયોગ કરીને ગુજરાતી ભાષાની લાક્ષણિકતા જાળવી રાખવી જોઈએ. આ વાત મારા મનમાં ત્યારે આવી, જ્યારે બજારમાં મળતી ગોળ-કેરીના અથાણાની શીશી પર 'ગોર-કેરી' કે 'ગોડ-કેરી' એવું વાંચવામાં આવ્યું. વોકલ ફોર લોકલ કરવું હોય તો 'ળ' અને 'ણ' ને આપણે ભૂલવા ન જોઈએ. જો ગુજરાતીમાં પ્રીન્ટ કરવાનું હોય તો, 'પાણી-પુરી' કે 'ભેળ-પૂરી' ને 'પાની-પૂરી' કે 'ભેલ-પૂરી' શા માટે કહેવું? વાત નાની છે પણ તેની શક્તિ 'લોકલ' ને 'ગ્લોબલ' બનાવી શકશે. "વોકલ ફોર લોકલ" આપણે થયા નહીં તેને લીધે જે વસ્તુઓ આપણા લેખક-કવિઓએ વર્ણવી છે તે ક્યાં છે તે અથવા તે જગાઓ જોવાનું પણ આપણને કુતુહલ થતું નથી. તેથી જ તો તે તે સ્થળોનો પર્યટન-મથક તરીકે પણ વિકાસ થતો નથી. દાખલા તરીકે, જુનાગઢના જોવા લાયક ઐતિહાસિક સ્થળો જો ગુગલમાં શોધશો તો અડીકડીની વાવ કે નવઘણ કૂવો તમને નહીં મળે અને વઢવાણની માધાવાવ કે સતી રાણકદેવીનું મંદીર પણ નહીં મળે. જુનાગઢના કવિ નરસિંહ મહેતા કે વઢવાણના કવિ દલપત રામ વગેરેએ તેમના સમયે ઐતિહાસિક રીતે અગત્યની સ્થાનિક વાતો સમેટીને કવિતાઓ લખી અને તે વાતો પ્રખ્યાત પણ થઈ. તેઓ લોકલ માટે વોકલ થયા. આજે પણ તેવું કરવાની જરુર છે. આપણા દેશમાં તો જ્યાં નજર પડે ત્યાં ઇતિહાસ પડ્યો છે, આપણે બસ જરુર થોડાક વોકલ-બોલતા થવાની જ છે.